Friday, December 7, 2012

Geminid Meteor Shower 2012

-મિથુન ઉલ્કા વર્ષા આ વખતે રંગ જમાવશે....
-કલાકની 50 થી વધુ ઉલ્કાઓ ખરવાની વૈજ્ઞાનિકોની આગાહી
-કચ્છનું અંધારૂં આકાશ ભારતના ખગોળ રસિકોને પણ ઘેલું લગાડી / આકર્ષી / રહ્યું છે.
13મી ની રાત્રીએ સૌથી વધારે ઉલ્કાઓ જોવા મળવાની શક્યતા છે.
૧૪ અને ૧૫ ડીસે. ના  કેટલાક સુંદર ફાયર બોલ જોવા મળી શકે છે


ભુજ: ખગોળ રસિકોમાં સૌથી માનિતી મિથુન ઉલ્કા વર્ષાનો પ્રારંભ થઈ ચુક્યો છે. દર વરસે ૭ ડીસેંબર થી ૧૭ ડીસેંબર સુધી ચાલતી ઉલ્કા વર્ષા તા. ૧૨ અને ૧૩મી ડીસેંબરે ચરમ સીમાએ પહોંચશે. આમ ખગોળ રસિકો સાતમી તારીખ  થી જ ઉલ્કાઓનું નિરિક્ષણ અને નોંધ કરવા સજ્જ બની ગયા છે. ત્યારે સામાન્ય પ્રજાજનો તા. 12 ની રાત અને 13મી ની રાત ના રોજ આ નઝારો સારી રીતે માણી શકશે એવું જાણવા મળ્યું છે. આ બાબતે માહિતિ આપતાં કચ્છના જાણીતા ખગોળવિદ્ નરેન્દ્ર ગોર "સાગર" જણાવે છે કે ઉલ્કા વર્ષા નિહાળવા માટે શહેરથી દૂર અંધારૂં હોય તેવું સ્થળ પસંદ કરવું જોઈએ. 13મી તારીખે અમાસ હોવાથી ચન્દ્રની ગેરહાજરી ને કારણે વધારે ઉલ્કાઓ રાત્રે ૧ થી ૩ વાગ્યા વચ્ચે જોવા મળશે. 

છેલ્લા સમાચાર મુજબ તા. 13મી ની રાત્રીએ સૌથી વધારે ઉલ્કાઓ જોવા મળવાની શક્યતા છે.
બીજી મહત્વની વાત એ છે ઉલ્કાવર્ષાની ચરમ સીમા સમાપ્ત થયા બાદ કેટલાક સુંદર ફાયર બોલ પણ તારીખ ૧૪ અને ૧૫ ડીસે. ના જોવા મળી શકે છે. 

આ ઉલ્કાઓનું કેન્દ્ર મિથુન રાશીમાં આવેલું હોવાથી તેને મિથુન ઉલ્કા વર્ષાના નામે ઓળખવામાં આવે છે. મિથુન રાશીના પુરૂષ અને પ્રકૃતિ પૈકીના પ્રકૃતિ નામના તારા પાસે આ વર્ષાનું કેન્દ્ર આવેલું છે. જ્યારે મિથુન રાશી આકાશમાં મધ્ય ભાગે હોય ત્યારે એટલે કે મધ્ય રાત્રીના એક થી ત્રણ વચ્ચે સૌથી વધુ એટલે કે કલાકની 50 જેટલી ઉલ્કા નિહાળવા મળશે. બીજી ઉલ્કાઓના પ્રમાણમાં તેની ગતી ધીમી હોવાથી તેને જોવામાં સરળતા રહે છે. આ ઉલ્કાની ગતી સેકંડના 35 કિ.મી. થી વધુ એટલેકે કલાકના ૧,૨૬,૦૦૦ કિ.મી. ની હોય છે !!! મિથુનની ઉલ્કાઓ પીળાશ જેવા રંગની હોવાથી આકાશને રંગીન બનાવી દે છે. 

આ બાબતે વધુ માહિતી આપતાં શ્રી નરેન્દ્ર ગોર જણાવે છે કે જ્યાં લાઈટો નહીંવત્ત હોય તેવી જગ્યા ઉલ્કા નિરિક્ષણ માટે પસંદ કરવી જોઈએ. જે લોકો શહેરમાંથી નિરિક્ષણ કરતા હોય તેમણે જ્યાં ઓછો પ્રકાશ આવતો હોય તેવું સ્થળ પસંદ કરવું જોઈએ. આકાશમાં કોઈ એક જ સ્થળે નહીં પણ ઉલ્કાઓ ચારે બાજુ જોવા મળશે આથી આકાશમાં જે ભાગમાં વધુ અંધારૂં જણાતું હોય ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આપણી આંખ ને અંધારાથી ટેવાતાં દશ થી વીશ મિનિટ જેવો સમય લાગે છે જે ધ્યાને લઈ ધીરજથી નિરિક્ષણ કરવાથી વધુ સારી રીતે અવલોકન કરી શકાય છે. ઉલ્કાના નિરિક્ષણ માટે કોઈ ખાસ પ્રકારના સાધન જેવાંકે દૂરબીન કે ટેલિસ્કોપની આવશ્યક્તા નથી. નાના બાળકોએ વડિલ વ્યક્તિની દેખરેખમાં નિરિક્ષણ કરવું જોઈએ. ઠંડીની ઋતુ હોઈ ઉલ્કા નિરિક્ષકે યોગ્ય સાવધાની રાખવી જરૂરી છે. ખુલ્લી જગ્યાએ નીચે બેસવા કરતાં આરામ ખુરસી વધુ સલાહ ભરી કહી શકાય. ઘરના ધાબાં ઉપર બીછાના ઉપર સુઈને પણ નિરિક્ષણ કરી શકાય.

મિથુન ઉલ્કા વર્ષા 3200 ફાયેથન નામના અવકાશી પિંડ ના કારણે ઉદ્ભવી છે. અને છેલ્લા ૧૫૦ વર્ષથી નિયમીત રૂપે જોવા મળે છે.

કચ્છ્માં રણોત્સવની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અવકાશ નિરિક્ષકો પણ કચ્છના અંધાર ઘેરા આકાશના દર્શન કરવા ખેંચાઈ રહ્યા છે. ૨૦૧૨ ના વર્ષના વિદાય થતા મહિનામાં કુદરતની આતશબાજી નિહાળવા રસ ધરાવતા લોકો તેમના મિત્રો, જાણકારો પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યા છે ત્યારે કચ્છના પ્રવાસ ક્ષેત્રી નવી બારી ખુલ્લી રહ્યાનાં સંકેત મળી રહ્યા છે. 

આ બાબતે વધુ માહિતિ માર્ગદર્શન માટે નરેન્દ્ર ગોર, બાલાજી હોબી સેંટર સંધ્યા એપાર્ટમેંટ, જીલ્લા પંચાયત સામે ફોન ૯૪૨૮૨૨૦૪૭૨ ઉપર સંપર્ક કરવા યાદી માં જણાવવામાં આવે છે.

Tuesday, November 16, 2010

Leonids

-- સિંહ ઉલ્કા વર્ષા નિહાળવા સજ્જ થતા કચ્છના ખગોળ શોખીનો
-- તારીખ ૧૭ નવેમ્બરની રાત્રે સિંહ રાશિમાં કલાકની ૪૦ વધુ ઉલકાઓ ખરતી જોવા મળશે
-- સિંહ રાશી નો ઉદય રાત્રે ૧.૦૦ વાગે થશે
-- રાત્રે ૩.૨૪ વાગ્યે ચંદ્રના અસ્ત બાદ વધારે ઉલકાઓ જોવા મળશે
-- ઉલ્કા વર્ષા જોવા માટેનો શ્રેષ્ઠ સમય સવારના ૩.૩૦ થી ૫.૩૦
-- કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ ક્લબ દ્વારા યોજાયેલ વાર્તાલાપ
ભુજ તા. ૧૬ દર વર્ષે થતી સિંહ ઉલ્કા વર્ષા જોવા માટે સજ્જ થવા કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ ક્લબ દ્વારા યોજાયેલ વાર્તાલાપ દરમ્યાન શ્રી નરેન્દ્ર ગોરે ઉપર મુજબ જણાવ્યું હતું. આ ઉલ્કા વર્ષા ટેમ્પલ ટટલ નામના ધૂમકેતુએ વેરેલા દ્રવ્ય દ્વારા થાય છે. આ વર્ષે સુદ અગિયારસ નો ચંદ્રમા થોડા સમય માટે બાધારૂપ બનશે પરંતુ ૧૭ તારીખ ના મોડી રાત્રી બાદ એટલેકે ૧૮ મીની વહેલી સવારે ૩.૨૪ કલાકે તે અસ્ત પામી જતા ઉલ્કાઓ સારી રીતે નિહાળી શકાશે. સિંહ રાશી નો ઉદય મધ્ય રાત્રી બાદ થતો હોઈ ઉલ્કા વર્ષા પણ ત્યાર બાદ જ શરૂ થશે. આથી આખી રાત્રી ઉજાગરો કરવા કરતાં વહેલી સવારના ૩.૩૦ થી ૫.૩૦ દરમ્યાન જો ઉલ્કાઓનું નિરીક્ષણ કરવામાં આવે તો પણ સારી ઉલ્કાઓ જોવા મળવાની સંભાવના છે. રાત્રે કંઈ દિશામાં ઉલ્કાઓ જોવી જોઈએ ? તેવા પ્રશ્નના જવાબ માં શ્રી ગોરે જણાવ્યું હતું કે શહેરના પ્રકાશિત વાતાવરણ થી દૂરનું સ્થળ આદર્શ સ્થળ કહી શકાય પરંતુ જો ત્યાં ન જઈ શકાય તો જે દિશામાં અંધારું વધારે હોય તે દિશા તરફ મુખ રાખવાથી પણ થોડી ઘણી પ્રકાશિત ઉલ્કાઓ જોઈ શકાશે. ઉલ્કા વર્ષા નિહાળવા માટે કોઈ દૂરબીન કે ટેલીસ્કોપ જેવા સાધનની જરૂર નથી. આ વખતે વાતાવરણ માં રહેલા વાદળો ઉલ્કા વર્ષા જોવા માટે વિલન બની શકે તેમ છે પરંતુ હવે વાદળો વિખેરાવા મંડ્યા છે ત્યારે વહેલી સવારનું આકાશ સ્વચ્છ રહેવાની આશા છે.
ઉલ્કાઓ ની વ્યવસ્થિત નોંઘ થાય અને તે નોંઘ ક્લબ ને મોકલવામાં આવે તેવો અનુરોધ કરતાં તેમણે જણાવ્યું કે આવો ડેટા આંતર રાષ્ટ્રીય સંસ્થાને ઉપયોગી પુરવાર થાય તેમ છે. કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ દ્વારા ઉલ્કા વર્ષા નિરીક્ષણ નો કાર્યક્રમ અવકાશ પ્રેમીઓના માનીતા સ્થળ ધોંસા ખાતે રાખવામાં આવેલ છે જે માટે ૯૪૨૮૨૨૦૪૭૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. વાર્તાલાપ દરમ્યાન કલબના વિજય વ્યાસે ૧૯૯૮ ના વર્ષ માં થયેલ ભવ્ય ઉલ્કા વર્ષા ના અનુભવો વર્ણવ્યા હતા. રાહુલ ઝોટાએ સ્વાગત કર્યું હતું, નિશાંત ગોરે વ્યવસ્થા સાંભળી હતી જયારે ગુંજન દોશી, આશિષ કોંઢીયા, અર્ચન સોની, ધૈર્ય પટેલ, ભવ્ય મહેતા, વગેરે પ્રશ્નોત્તરી કરી હતી.

Monday, November 8, 2010

comet C/2010 V1 (Ikeya-Murakami)

નવો જ શોધાયેલો ધૂમકેતુ આઈક્યા - મુરાકામી ( C/2010 V1 ) હાલે વહેલી સવારના દેખાઈ રહ્યો છે.


અત્યારે તેનો તેજાંક ૭ અને ૯ ની વચ્ચે હોવાથી નાના ટેલીસ્કોપ ની મદદથી જોઈ શકાશે કન્યા રાશી ના ચિત્રા તારા ની ઉપર નીચે જણાવ્યા પ્રમાણે જોઈ શકાશે

Wednesday, October 20, 2010

કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ કલબ નો ઈતિહાસ

કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ કલબ નો ઈતિહાસ

પ્રિય મિત્રો
ઘણા વખતથી ઈચ્છા હતી કે ક્લબ ની પ્રવૃતિઓ તથા તેને લગતી કેટલીક બાબતો આપની સાથે શેર કરું આપ જે પણ લોકો આની સાથે જોડાયેલા હોવ તમામ ને નમ્ર વિનંતી કે આપ પણ આપનો પ્રતિભાવ અનુભવ સ્મરણો જરૂરથી મોકલશો
કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ કલબ નો ઈતિહાસ
સ્થાપના
કચ્છમાં ખગોળની પ્રવૃત્તિ ઘણા વર્ષોથી થતી રહી છે. 1986 માં હેલીના ધૂમકેતુએ લોકોને આ વિષયમાં વધુ આકર્ષિત કર્યા, આકાશ દર્શનનો શોખ ધરાવતા લોકો નજીક આવ્યા અને છૂટક છૂટક કાર્યક્રમો થતા રહ્યા.
તારીખ ૩૦/૧૧/૧૯૯૧ રોજ આ લખનારના ( નરેન્દ્ર ગોરના ) પ્રયત્નથી ભુજથી ૨૧ કિલોમીટર ઉત્તર-પૂર્વ દિશામાં આવેલા મકનપર ધોંસા ખાતે કચ્છ જ્યોતિષ મંડળ દ્વારા આકાશ દર્શનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ડો. એચ. એચ. ભુડિયા, (લંડન) નવીન બાપટ, (પક્ષીવિદ ) નરેન્દ્ર ગોર સાગર, નિરંજન જોશી ધરાદેવ, ડો. જવાહર ટંડન, પીરભાઈ, સદ. પુરૂસોત્તમ વાસાણી, કિશોર ગડા, ભાનુબેન કોઠારી, વિગેરે હાજર હતા. ચર્ચા દરમ્યાન કચ્છમાં એસ્ટ્રોનોમી ક્લબ રચવાનો વિચાર વહેતો થયો અને હાજર રહેલાઓએ એ વિચારને વધાવી લીધો જેને પરિણામે તારીખ ૧૫/૧૨/૧૯૯૧ ના રોજ ભુજ ખાતે કલબની સ્થાપના કરવામાં આવી.

નોંધ : મકનપર ધોંસા ભુજથી ૨૧ કિલોમીટર ઉતર પૂર્વમાં આવેલું નાનકડું ગામ છે. ત્યાં પ્રાચીન શિવમંદિર છે. નજીકમાં મોટું તળાવ છે. પક્ષીવિદો માટે તે આજે પણ માનીતું સ્થળ છે. લાઈટ પ્રદુષણ ખુબ ઓછું અને ખુબ ચોખું આકાશ!!! રહેવા માટેની ગાદલા - ગોદડા સહિતની સારી સગવડ. જમવાનું બનાવવા માટે વાસણ, બળતણ સહીત તમામ સામગ્રી હાજર!!!! ક્લબના નિયમિત કાર્યક્રમોથી સમગ્ર કચ્છમાં આકાશ દર્શન માટે તે માનીતું અને જાણીતું સ્થળ બની ગયું છે.
---- ક્રમશ: ...............

Tuesday, March 31, 2009

Gift to KAAC

The Sun Dial was prepared by Mr. Brij Mohan Thakore himself and awarded to Kutch Amateur Astronomers Club for contribution to astronomy at Gujarat Meet 2009 at Madhavpur Ghed